મૃત્યુ નો પૂર્વ યોગ
વિનોબાજીએ મૃત્યુ નામની ઘટના સાથે ઘરોબો કરવા એક યુક્તિ સૂઝાડી છે,જેને તેઓ મૃત્યુ પૂર્વયોગ કહે છે.જેવી રીતે નાટક ભજવતા પહેલા નાટકનું રિહર્સલ થતું હોય છે,એ રીતે જીવનની રંગ ભૂમિ પર રોજેરોજ
મૃત્યુ નો પૂર્વ પ્રયોગ કરવો.એમણે જીવનના ચાર ગાળા બતાવ્યા.
૧ સંકલ્પ,
૨ સાધના,
૩ સમર્પણ ,
૪ સમાધિ.
આ ચતુષ્પદી સાધના રોજ કરવી અને જીવન ભર કરવી.જે રીતે પૃથ્વી પોતાની ધરીની આસપાસ પણ ફરે છે અને પૃથ્વીની આસપાસ પણ ગોળગોળ ફરે છે એ રીતે જીવનમાં બેવડી સાધના કરવી.
રોજ સંવારે ઉઠીને ,ચિત્ત સ્ફૂર્તિ મા હોય ત્યારે અંતરતર માંથી સંકલ્પનું સ્ફુરણ થવા દેવું, જેટલો સંકલ્પ સહજ હશે ,તેટલી સરળ એની સિદ્ધિ હશે. સંકલ્પ થયા બાદ આખો દિવસ એ સંકલ્પ ની સાધનામા વીતાવવો.
દિવસ જ્યારે આથમે ,સૂર્યાસ્ત ની વેળા થાય,સુરજ પોતાના કિરણો સમેટે ત્યારે સંકલ્પ ને પાર પાડવાની જે કાંઈ સાધના થઈ હોય તે પરમેશ્વરના ચરણે સમર્પિત કરી દેવી. આ છે સમર્પણ. ઈશ્વર ને બધું સોંપી દીધા બાદ, દિવસ ભર ની તમામ પ્રવૃત્તિ આટોપી ,ચિત્તના તમામ વ્યાપાર સંકેલી ચિત્તને ઈશ્વર માં સ્થિર કરવું. આ થશે સમાધિ.
જે રીતે રોજ રોજની સાધના થાય, તે રીતે જીવનમાં પણ આ જ સાધનાને બેવડાવવી. યુવાવસ્થામાં જીવ ધ્યેયનો સંકલ્પ કરવો,ગૃહસ્થાશ્રમ દરમ્યાન સંક્લ્પપૂર્તિ ની સાધના કરવી.,વાનપ્રસ્થાશ્રમમાં સકલ્પને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી જીવનનો સંકેલો કરવો. અંતે અંતિમ અવસ્થામાં બધું ઈશ્વરને સોંપી 'સમાધિ ' એટલે શાંત સ્થિતિનો અનુભવ કરવો.